કલાનાં વિવિધ પાસાંનું વિહંગાવલોકન

કલા અનેકવિધ અંગો સાથે સંકળાયેલી છે. અહીં સૌંદર્ય, રસ, આનંદ, ભાવન, , કલાના પ્રકારો ઇત્યાદિની દૃષ્ટિએ ક્લાનાં વિવિધ પાસાં પર એક ઊડતી નજર નાખીને કલાતત્ત્વને સમજવાનો પ્રયાસ કર્યો છે.

‘તૈત્તિરીય ઉપનિષદ્’ કહે છે કે ‘રસો વૈ સ:’ અર્થાત્ તે પરમાત્મા રસસ્વરૂપ છે અને ‘આનન્દો બ્રહ્મ’ અર્થાત્ આનંદ જ બ્રહ્મ છે. સૌંદર્ય રસ અને આનંદના અંગરૂપ છે. સચ્ચિદાનંદમય નિયંતાનું સત્યમ્, શિવમ્ અને સુંદરમ્-નું  રૂપ છે તેમાંથી સુંદરમ્ એટલે જ સૌંદર્યમય સૃષ્ટિ. જીવનના ચાર પુરુષાર્થોમાંથી કામપુરુષાર્થ સાથે સૌંદર્યમયતા પ્રગાઢ રીતે વણાયેલી છે.

માણસનો મૂળ સ્વભાવ આનંદનો છે. એ સર્વ સ્રોતમાંથી બાહ્યાભ્યંતર આનંદનું આકલન કરી જીવનને સુંદરતમ બનાવવા ઈચ્છે છે. ઈન્દ્રિયો દ્વારા પમાતા આનંદનું વૈવિધ્ય અપાર છે, જેમાંથી દૃશ્યાનુભવ એક અગત્યનો હિસ્સો છે. માણસની સૌંદર્યપિપાસા અને સૌંદર્યમાંથી પ્રગટતી આનંદપિપાસાએ અનેક દૃશ્યરૂપોનો આકાર લીધો છે. પ્રકૃતિ અને કલા આવા આનંદસ્રોતનાં મુખ્ય વાહકો છે. કલા એટલે જ માનવ દ્વારા નિર્મિત સૌંદર્યપ્રવૃત્તિ. જગતના અપરિમિત અનુભવો, લાગણીઓ, એષણાઓ, સંઘર્ષો, વેદનાઓ, કલ્પનાઓ, સત્યો, તથ્યો, દર્શનો ઈત્યાદિને કલાકાર અનેકવિધ રીતે કલાકૃતિમાં સૌંદર્યમય રૂપ આપે છે, જે ભાવક માટે રસાસ્વાદનો વિષય બને છે.

સૌંદર્યાનુભૂતિની એક કોટિ રસ છે, જે કલાકૃતિનો સાક્ષાત્ આસ્વાદ કહેવાય છે. ભરતને આસ્વાદત્મક્તા જ રસ નામના વિધાયક હેતુના રૂપમાં અભિપ્રેત છે. અભિનવગુપ્તના સાહિત્યિક ગુરુ ભટ્ટ તોત રસને પ્રીત્યાત્મક કહે છે; આનંદવર્ધન રસને આહ્લાદાત્મક કહે છે અને અભિનવગુપ્ત એને સાક્ષાત્ આનંદ જ કહે છે.

 

કલાકૃતિ દ્વારા પ્રાપ્ત થતા રસાસ્વાદને ‘બ્રહ્માનંદ સહોદર’ કહેવામાં આવે છે. કલાની ભાવસૃષ્ટિ આપણા હૃદયને ત્યારે જ સ્પર્શે છે જયારે તેમાં અભિવ્યકત કરવામાં આવેલ રતિ વગેરે ભાવો આપણા ચિત્તની સમકક્ષ હોય. કૃતિમાં અભિવ્યકત થયેલ ભાવ કલાકારના હોય છે, પણ તે જયારે સહૃદયી ભાવકના મન સાથે મેળ સાધે છે તેને સંવાદ કહેવામાં આવે છે. આવો સંવાદ સાધવામાં સક્ષમ અભિવ્યકિતને જ રસાત્મક કહેવામાં આવે છે. જે વિષય સહૃદયના અંગપ્રત્યંગમાં એકદમ ભળી જાય તેને રસ કહેવામાં આવે છે. કલાત્મક અભિવ્યક્તિ ભિન્ન ભિન્ન ભાવો જન્માવે તે ચિત્તવૃત્તિરૂપ હોય છે. એ વૃત્તિમાં જે મુખ્ય હોય તે જ રસ કહેવાય છે.

જે રીતે કલાકારમાં સર્જન માટેની પ્રતિભાની જરૂર છે, તે જ રીતે ભાવક પાસે પણ સજજતાની અપેક્ષા રહે જ છે. રાજશેખર એને અનુક્રમે ‘કારયિત્રી’ અને ‘ભાવયિત્રી’ પ્રતિભા કહે છે. જો ભાવક કલાનાં અંગો, જીવનની વ્યાપકતા, અનુભૂતિની અસીમિતતાથી ઈત્યાદિથી અપરિચિત હોય તો તે કલાનુભવ વ્યાપક રીતે પામી શકતો નથી.

હવે સર્જનાત્મકતા વિશે વિચારીએ. સર્જન શરૂઆતમાં માત્ર ભગવાનના સંદર્ભે  જ વપરાતો શબ્દ હતો, પરંતુ પાછળથી માણસના વિશિષ્ટ કર્મ માટે પણ તે વપરાતો થયો. માણસ પોતાની સ્વતંત્ર અને અલાયદી સૃષ્ટિનું નિર્માણ કરતો થયો અને સર્જકનું પદ પામતો થયો. સર્જકતા એટલે કશુંક નવું અને અપૂર્વ રચવું તે. એક અથવા અનેક વસ્તુના સંકલન કે સંયોજનમાંથી નૂતન વસ્તુ રચવી એટલે સર્જનાત્મકતા. દરેક નવી રચના લાગતી કે નવું સર્જન જણાતી ચીજવસ્તુ કે કલાકૃતિ એ વાસ્તવમાં પૂર્વની કેટલીય પ્રક્રિયા કે વસ્તુપદાર્થનું જ નવ્ય સંવર્ધિત રૂપ હોય છે. એ યાદ રહે કે કશું જ સંપૂર્ણ મૌલિક કે સાવ જ નવું સર્જન નથી હોતું. વસ્તુત: એ તો પરિવર્તિત, સંવર્ધિત, સંકલિત, મિશ્રિત કે સંયોજિત રૂપ હોય છે. માણસને તેની લાખો વર્ષોની સભ્યતા અને સંસ્કૃતિના ફળરૂપે ભાષા, વિચાર, કલ્પના, લાગણી, અભિવ્યકિત, સૌંદર્યનિર્મિતિ જેવા ગુણો સાંપડયા. આ સર્વનાં સુંદર રૂપો સર્જનના નામે ફલિત થયાં.

પરિવર્તન કે પ્રયોગ પણ સર્જનાત્મકતાની ભૂમિ બને છે. સતત કશુંક નવું, વધારે સુંદર કે ઉત્કૃષ્ટ રચવાની વૃત્તિમાંથી સર્જન પોષણ મેળવે છે. માણસ સતત સર્જનશીલ હોય છે, પરંતુ એની સર્જનાત્મકતાની સર્વોચ્ચ સિદ્ઘિ તો છે કલા. કેમકે કલા માણસને આનંદ આપે છે અને આનંદ માણસનો મૂળભૂત સ્વભાવ છે. અનુભૂતિ કે લાગણીની તીવ્રતા માણસને અભિવ્યકિત માટે ઉશ્કેરે છે અને કલ્પના તથા અભિવ્યકિતનું કૌશલ્ય એને સર્જન માટે પ્રેરે છે. માણસે પ્રાપ્ય મર્યાદિત સામગ્રીનો ઉપયોગ કરીને કલામાં અમર્યાદ પરિણામો સિદ્ઘ કર્યાં છે.

માણસ વધારે પડતો તો કલ્પનાની દુનિયામાં રહે છે. વાસ્તવની બરડતા એને નડે છે, પણ કલ્પના દ્વારા તે પોતાનું મનગમતું, અલાયદું, અનોખું, સંપૂર્ણ અને માત્ર આનંદમય જગત રચી શકે છે. આવો કલ્પનાવિહાર કલામાં શકય બને છે. જયાં તે પોતાને સર્જનહારની સમકક્ષા માની શકે છે.

માણસને સૌંદર્ય કાયમ આકર્ષે છે. સૌંદર્યતત્ત્વના મૂળભૂત અંગરૂપ પાંચ ‘સ’ ગણવામાં આવે છે :  સમતુલા, સંવાદિતા, સાવયવતા, સપ્રમાણતા અને સુષ્ઠુતા. વ્યાપક રીતે સૌંદર્યનાં અંગો આ પ્રમાણે છે : સમ્માત્રા, સમતુલા, સંવાદિતા, સુસંગતતા, સમગ્રતા, લયબદ્ધતા, સપ્રમાણતા, વિરોધ, એકતા, સુવ્યવસ્થિત ક્રમ, નિશ્ચિત આકાર, ક્ષમતા, વિચિત્રતા, જટિલતા, વિશાલતા, સ્પષ્ટતા, આકાર સૂક્ષ્મતા, મસૃણતા, વર્ણદીપ્તિ, શુદ્ધતા અને સામંજસ્ય.

કલા માણસની સૌંદર્યપિપાસાની આગવી સિદ્ધિ છે. કલા અંગેની ગુજરાતી વિદ્વાનોએ આપેલી વ્યાખ્યાઓ પર એક નજર નાખીએ તો-

‘‘કલા એટલે કલાવિધાયકના હૃદગત ભાવને અમુક બાહ્યેન્દ્રિય ગ્રાહ્ય ઉપાદાનમાં વ્યકત કરવો તે – ભાવનું બાહ્યેન્દ્રિય ગ્રાહ્ય પ્રગટ સ્વરૂપ. એ સ્વરૂપ એવું હોવું જોઈએ કે એ જ ભાવ તે જોનાર કે સાંભળનારમાં સંક્રાંત કરી શકે.’’ – રામનારાયણ પાઠક

 

‘‘કળા આનન્દ આપે છે, પણ એ આનન્દ અંગત રીતે અનુકૂળ સંવેદ્ય લાગણી નથી. આ આનન્દ તે કળાકૃતિના આકલનને નિમિત્તે આપણી ચેતના એકાગ્ર બનીને પોતાને સ્પષ્ટ રૂપે પ્રતીત કરી શકે છે તેનો આનન્દ છે, એ heightened awarenessના અનુભવનો, ચૈતન્યની સન્નદ્ધ (tautness) અવસ્થાના અનુભવનો આનન્દ છે.’’ – સુરેશ જોષી

 

‘‘કળા કશાની અવેજીમાં નથી, કશાનું પ્રતીક નથી, કોઈ એની બહારના રહસ્ય તરફ અંગુલિનિર્દેશ કરતી નથી. જીવનથી ભિન્ન એવો કોઈ અલૌકિક પ્રદેશ નથી. એ જીવનનો જ વિસ્તાર છે. એને ઈન્દ્રિયગોચર બનાવીને પ્રત્યક્ષતાથી સંવેદવાની છે. એમાંથી કશું કાઢવાનું નથી કે અહેવાલ આપવાનો નથી.’’  – સુરેશ જોષી

 

‘‘સંગીત આદિ કલાઓની આવી હૃદયવિસ્તાર કરનારી, સંસારની પારનો અનુભવ આપનારી, અને માણસને વ્યવહારની કુટિલતામાંથી મુક્ત રહી આનન્દ અનુભવવાનો માર્ગ બતાવનારી અસર હોત તો તેનો આશ્રય પ્રાચીન કાલથી જ આજપર્યન્તના વિચારવાન જનોએ કર્યો હોત નહિ.’’ – મણિલાલ દ્વિવેદી

એ જ રીતે પશ્ચિમમાંની કલાવિચારણા અને કલાકારોની પોતીકી કલાવિભાવના પર પણ એક નજર નાખીએ તો કલા વિશેનો એક ભાતીગળ ચંદરવો નજરે પડે છે :

Plato holds in the Republic and elsewhere that the arts are representational, or mimetic, sometimes translated ‘imitative’.

‘The aim of art is to represent not the outward appearance of things, but their inward significance.’

-Aristotle

Kant has a definition of art, he is for systematic reasons far less concerned with it than with aesthetic judgment. Kant defines art as ‘a kind of representation that is purposive in it self and, though without an end, nevertheless promotes the cultivation of the mental powers for sociable communication.’

‘The progress of an artist is a continual self-sacrifice, a continual extinction of personality.’-T.S. Eliot

‘Painting is poetry that is seen rather than felt, and poetry is painting that is felt rather than seen.’

-Leonardo da Vinci

‘A man paints with his brains and not with his hands.’ – Michelangelo

‘Painting is the grandchild of nature. It is related to God.’

-Rembrandt

‘It is not the language of painters but the language of nature which one should listen to, the feeling for the things themselves, for reality, is more important than the feeling for pictures.’

– Vincent Van Gogh

‘Have no fear of perfection, you’ll never reach it.’

-Salvador  Dali
‘Those who do not want to imitate anything, produce nothing.’

-Salvador Dali

‘Art is not what you see, but what you make others see.’

-Edgar Degas

‘There is no must in art because art is free.’

-Wassily Kandinsky

‘No longer shall I paint interiors with men reading and women knitting. I will paint living people who breathe and feel and suffer and love.’

-Edvard Munch

‘Painting is just another way of keeping a diary.’

-Pablo Picasso

‘Every child is an artist.  The problem is how to remain an artist once we grow up.’

-Pablo Picasso

‘We all know that Art is not truth.  Art is a lie that makes us realize truth, at least the truth that is given us to understand.  The artist must know the manner whereby to convince others of the truthfulness of his lies.’

-Pablo Picasso

‘As far as I am concerned, a painting speaks for itself.  What is the use of giving explanations, when all is said and done?  A painter has only one language.’

-Pablo Picasso
‘The world today doesn’t make sense, so why should I paint pictures that do?’

-Pablo Picasso

‘There are painters who transform the sun into a yellow spot, but there are others who, thanks to their art and intelligence, transform a yellow spot into the sun.’

-Pablo Picasso

‘I don’t paint things.  I only paint the difference between things.’

-Henri Matisse

‘Painting is easy when you don’t know how, but very difficult when you do.’

-Edgar Degas
‘It is a mistake for a sculptor or a painter to speak or write very often about his job.  It releases tension needed for his work.’

– Henry Moore

‘Great art picks up where nature ends.’

-Marc Chagall

 

કલાને અનેક રીતે વર્ગીકૃત કરી શકાય. જેમકે-

લલિતકલા-લલિતેતરકલા

દૃશ્યકલા-શ્રાવ્યકલા

સ્થળપરક કલા-સમયપરક કલા

ચલ કલા-અચલ કલા

લલિતકલા-લલિતેતર કલા

ચારુકલા-કારુકલા

હૅગલ અનુસાર ઉપાદાનને આધારે ક્લા પ્રકારો અને કલાના ક્રમ આ પ્રમાણે છે : સાહિત્ય, સંગીત-નૃત્ય, ચિત્ર, શિલ્પ, સ્થાપત્ય.

ઉપાદાન એટલે કલાનિર્મિતિના મૂળ અંગરૂપ સામગ્રી. માધ્યમ, કાચી સામગ્રી, સાધન. કોઈ પણ કલાનું સાધ્ય મહત્ત્વનું હોય છે, સાધન ગૌણ હોય છે. સામગ્રીનું સુસંયોજિત રૂપ જ કલાનિર્મિતિનું અગત્યનું ઘટક છે. ઉપરોક્ત પાંચેય લલિત કલાનાં ઉપાદાન નીચે પ્રમાણે છે :

સ્થાપત્યનાં ઉપાદાન : પથ્થર, ઈંટ, ચૂનો, સિમેન્ટ, ધાતુ, કાષ્ઠ, કાચ

શિલ્પનાં ઉપાદાન : ધાતુ, પથ્થર, કાષ્ઠ, ફાઈબર ગ્લાસ, ગ્લાસ, હથોડી, ટાંકણું

ચિત્રનાં ઉપાદાન : કૅન્વાસ, પેપર, રંગ, પીંછી

સંગીતનાં ઉપાદાન : નાદ, સ્વર, તાલ

સાહિત્યનાં ઉપાદાન : શબ્દ, અર્થ

કોઈ પણ કલાકૃતિનાં મુખ્ય અંગો ચાર છે : આકાર, માધ્યમ, રચનારીતિ અને અભિવ્યક્તિ. કોઈ પણ દૃશ્યકલામાં મુખ્ય અંગો આટલાં છે : રૂપ, રેખા, રંગ, પદાર્થ, ઘનતા, છાયાપ્રકાશ, અવકાશ. દૃશ્યકલામાંથી ચિત્રકલા લંબાઈ અને પહોળાઈ એ બે પરિમાણોયુક્ત છે, જયારે શિલ્પ અને સ્થાપત્ય લંબાઈ, પહોળાઈ અને ઊંડાઈ એ ત્રણ પરિમાણોયુકત હોય છે. ચિત્ર માત્ર સામેથી જોઈ શકાય, શિલ્પની આસપાસ ફરી શકાય અને સ્થાપત્યમાં તો અંદર પ્રવેશ પણ કરી શકાય છે.

હવે ભારતીય કલાવિભાવના પર દૃષ્ટિપાત કરીએ. ભારતીય કલામાં રસ અને ભાવનું આલેખન મહત્ત્વનું ગણાયું છે. એટલે જ આદર્શ પ્રતિમામાં અંગવિન્યાસની સાથે રસ અને ભાવને દર્શાવવા જરૂરી મનાયા છે. ‘દેવતામૂર્તિપ્રરણ’માં કહેવાયું છે કે નિર્વિકારી મન ઉપર ભાવની છાયા જ પ્રથમ પડે છે.

‘બૃહત્સંહિતા’માં કહેવાયું છે કે મેરુ, મંદર, કૈલાસ, વિમાનચ્છંદ, નંદન, સમુદ્ર, પદ્મ, ગરુડ, નંદિવર્ધન, કુંજર, ગુહરાજ, વૃષ, હંસ, સર્વતોભદ્ર, ઘટ, સિંહ, વૃત્ત, ચતુષ્કોણ, ષોડશાશ્રિ અને અષ્ટાશ્રિ એ વીસ દેવપ્રાસાદોનાં નામ મેં (વરાહમિહિરે) કહ્યાં છે.

‘શુક્રનીતિ’માં એમ કહ્યું છે કે શાસ્ત્રો દ્વારા કહેવાયેલ નિયમ અનુસારની પ્રતિમા જો સર્વાંગસંપૂર્ણ હોય તો પુણ્ય આપે છે અને મનોહારિણી બને છે, પરંતુ જો પ્રતિમા શાસ્ત્રોક્ત ન હોય તો નિત્ય દુઃખદાયક બને છે.

‘કામસૂત્ર’ ના પ્રથમ અધિકરણના ત્રીજા અધ્યાયમાં વાત્સ્યાયન ચોસઠ કલાઓની યાદી આપે છે તેની ટીપ્પણી કરતાં ‘જયમંગલા’ ટીકામાં યશોધર ચિત્રકલાનાં છ અંગો જણાવે છે કે રૂપભેદ, પ્રમાણ, ભાવ, લાવણ્યયોજના, સાદૃશ્ય અને રંગયોજના એ ચિત્રકલાનાં છ અંગો છે. ‘વિષ્ણુધર્મોત્તરપુરાણ’ના ત્રીજા ખંડના એકતાલીસમા અધ્યાયના શ્લોક નવ અને દસમાં ચિત્રકલાનાં આઠ અંગો આ પ્રમાણે દર્શાવવામાં આવ્યાં છે : સ્થાન, પ્રમાણ, ભૂલંબ કે આધાર, માધુર્ય, વિભક્તતા, સાદૃશ્ય, ક્ષય અને વૃદ્ધિ એટલા ચિત્રના ગુણ કહ્યા છે. રેખા, વર્તના, આભૂષણ અને રંગ એટલી વસ્તુઓ ચિત્રને શોભાવનારી છે.

આ રીતે, કલા વિશે વ્યાપક વિચારણા થઈ છે. કલાનિર્મિતિનાં કેટલાંક અંગો પર પ્રકાશ પાડવાનો અત્રે નમ્ર પ્રયાસ છે.

 

નિસર્ગ આહીર

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *